જીવનમાં જ્યારે કોઈ તમારું આત્મતત્વ છીનવી લેવા આવે ત્યારે આપોઆપ વિશ્વામિત્ર અને વસિષ્ઠનો પ્રસંગ યાદ આવે.
વિશ્વામિત્ર જ્યારે વસિષ્ઠની શબલા ગાય લઈ જવાની માંગણી કરે છે ત્યારે વસિષ્ઠ કહે છેઃ
શાશ્વતી શબલા મહ્યં કીર્તિરાત્મવતો યથા,
અસ્યાં હવ્યં ચ કવ્યં ચ પ્રાણયાત્રા તથૈવ ચ. (બાલકાંડ-૫૩-૧૩)
આત્મવત વ્યક્તિની કીર્તિ જેમ એનાથી અલગ ન પડી શકે એમ આ શબલા મારાથી અલગ ન પડી શકે. મારા હવ્યકવ્ય અને મારી પ્રાણયાત્રા (જીવનનિર્વાહ) એના પર જ ચાલે છે.
વિશ્વામિત્રનાં તર્ક અને ધનની લાલચ સામે વસિષ્ઠ કહે છેઃ
એતદેવ હિ મે રત્ન-
મેતદેવ હિ મે ધનમ્
એતદેવ હિ સર્વસ્વ-
મેતદેવ હિ જીવિતમ્ (બાલકાંડ-૫૩-૨૩)
એ જ (એ શબલા ગાય જ) મારું રત્ન છે, મારું ધન છે; મારું સર્વસ્વ છે, મારું જીવિત છે.
આગળ જતાંવસિષ્ઠ કહે છેઃ મારી સર્વ ક્રિયાનું (મારાં શુભ કર્મોનું) મૂલ જ આ ગાય છે. આના વિશે દલીલને અવકાશ નથી.
સાભારઃ ‘કથા રામની વ્યથા માનવની’ (હરિન્દ્ર દવે), પૃષ્ઠઃ ૮૨/૮૩, પ્રવીણ પ્રકાશન.